સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ રિસોર્ટ પોલિટિક્સ જોવા મળ્યું છે. પોરબંદર, સુરત, રાજકોટ, અમદાવાદ, નવસારી, મોરબી, સુરેન્દ્રનગરના કોંગ્રેસના ઉમેદવારોને તૂટવાના ભયે રિસોર્ટમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. રાજ્યમાં લોકસભા અને વિધાનસભા અને ખાસ કરીને રાજ્યસભાની ચૂંટણી વખતે રિસોર્ટ પોલિટિક્સ સામે આવતું હોય છે પરંતુ આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ કોંગ્રેસે પોતાના ઉમેદવારો તૂટવાના ભયે ચાલ રમવી પડી છે. ત્યારે હવે આમ આદમી પાર્ટીના ઉમેદવારોને પણ અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ પોતાના ઉમેદવારોને તૂટતા બચાવવા માટે રિસોર્ટ પોલિટિક્સનો સહારો લઈ રહી છે. ભાજપના ડરને કારણે કોંગ્રેસે પોતાના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડી દીધા છે. ત્યારે હવે આમ આદમી પાર્ટીના ઉમેદવારો પણ ભાજપના ભયને કારણે અજ્ઞાત સ્થળે પહોંચી ગયા છે. લોભ લાલચ અને ડરાવવાનો ભાજપ પર આક્ષેપ કરવામાં આવ્યો છે. ઉમેદવારી પાછી ખેંચવા ડરાવવાનો આક્ષેપ કરાયો છે. આમ આદમી પાર્ટીના 40 કરતા વધુની ઉમેદવારી પાછી ખેંચાવવાના પ્રયાસનો આક્ષેપ કરાયો છે. ફોર્મ પરત ખેંચવાની મુદ્દત પૂર્ણ થયા બાદ ઉમેદવારોને પરત લાવવામાં આવશે.

સુરત મનપાની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા 40 જેટલા ઉમેદવારોને શહેરથી દૂર અજ્ઞાત સ્થળો પર લઈ જવામાં આવ્યા છે. મોરબીમાં પણ મનપાના ચાર ઉમેદવારોને ભાજપા દ્વારા તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાના આક્ષેપ બાદ અજ્ઞાત સ્થળે મોકલી દેવાયા છે. આ અંગે રાજકોટના કોંગ્રેસના નેતા ગાયત્રી બા વાઘેલાએ કહ્યું હતું કે, અમારા ઉમેદવારોને ધમકીના ફોન આવ્યા હોવાથી શહેર પ્રમુખને તેની જાણ થઈ હતી. જેથી ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા છે. રાજકોટમાંથી 12 ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા છે. કલોલમાં પણ કોંગ્રેસના 40 ઉમેદવારોને ખાનગી સ્થળે મોકલાયા છે.


