દિલ્હી સરકારે તેની ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) નીતિ 2026-30નો ડ્રાફ્ટ બહાર પાડ્યો છે, જેનો મુખ્ય હેતુ પ્રદૂષણ ઘટાડવાનો અને ઇલેક્ટ્રિક મોબિલિટીને પ્રોત્સાહન આપવાનો છે. આ નીતિ હેઠળ, 1 જાન્યુઆરી 2027થી માત્ર ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર અને 1 એપ્રિલ 2028થી માત્ર ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરનું જ નવું રજિસ્ટ્રેશન કરવામાં આવશે. એટલે કે પેટ્રોલથી ચાલતા ટુ-વ્હીલરનું દિલ્હીમાં વેચાણ થઈ શકે નહીં.
પ્રદૂષણમાં વાહનોના 23 ટકા ફાળાને ધ્યાનમાં રાખીને, સરકાર EV ખરીદનારાઓને સીધું નાણાકીય પ્રોત્સાહન આપશે. જેમાં ટુ-વ્હીલર પર રૂપિયા 30,000 અને ઈ-ઓટો પર રૂપિયા 50,000 સુધીની સબસિડી પ્રસ્તાવિત છે. જૂના BS-IV વાહનોને સ્ક્રેપ કરીને EV ખરીદવા પર વધારાનું બોનસ અને રૂપિયા 30 લાખ સુધીની કાર પર રોડ ટેક્સમાં 100 ટકા મુક્તિ મળશે. આ સાથે જ ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિસ્તાર અને બેટરી રિસાયકલિંગ પર પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.

દિલ્હી સરકારની નવી EV પોલિસીએ એગ્રીગેટર્સ અને સરકારી વિભાગો માટે કડક ધોરણો નક્કી કર્યા છે. આ નીતિ હેઠળ, 1 જાન્યુઆરી 2026થી ઓલા, ઉબર અને ઝોમેટો જેવા એગ્રીગેટર્સ તેમના કાફલામાં કોઈ પણ નવા પેટ્રોલ કે ડીઝલ વાહનોનો સમાવેશ કરી શકશે નહીં. તેમને માત્ર ઇલેક્ટ્રિક વાહનો (EV) ઉમેરવાની જ મંજૂરી આપવામાં આવશે.
આ જ નિયમ સરકારી વિભાગોને પણ લાગુ પડશે જ્યાં ભવિષ્યની તમામ નવી ખરીદી માત્ર EV સુધી સીમિત રહેશે. આ ઉપરાંત, સ્કૂલ બસો માટે પણ તબક્કાવાર લક્ષ્યાંકો નક્કી કરવામાં આવ્યા છે, જે હેઠળ 2030 સુધીમાં 30 ટકા બસો ઇલેક્ટ્રિક કરવી અનિવાર્ય રહેશે. આ પગલું માત્ર ‘ગ્રીન ટ્રાન્ઝિશન’ માટે જવાબદાર બનાવતું નથી, પરંતુ EV ઇકોસિસ્ટમમાં રોકાણ અને માળખાગત સુવિધાઓને ગતિ આપવા માટે મજબૂત આધાર પણ તૈયાર કરે છે.


