વિમેન્સ T20 એશિયા કપ 2026માં ભારતીય મહિલા ટીમે પાકિસ્તાન સામે શાનદાર પ્રદર્શન કરીને 7 વિકેટે એકતરફી જીત મેળવી હતી. 5 સપ્ટેમ્બરે દુબઈમાં રમાયેલી આ મેચમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનની આખી ટીમને માત્ર 55 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. ત્યારબાદ ભારતીય ટીમે માત્ર 8.4 ઓવરમાં લક્ષ્યાંક હાંસલ કરીને 68 બોલ બાકી રાખીને મેચ જીતી લીધી હતી.ભારતની આ શાનદાર જીતમાં બોલરોની ભૂમિકા સૌથી મહત્વની રહી હતી.ખાસ કરીને યુવા સ્પિન બોલર શ્રી ચરણીએ પોતાની બોલિંગથી પાકિસ્તાની બેટિંગની કમર તોડી નાખી હતી. ચરણીએ માત્ર 7 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. તેના શાનદાર પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.મેચ બાદ શ્રી ચરણીએ પાકિસ્તાનને માત્ર 55 રનમાં સમેટવાની ટીમ ઈન્ડિયાની વ્યૂહરચના અંગે મહત્વની વાતો જણાવી હતી.
માત્ર સ્ટમ્પ પર બોલિંગ કરવાની હતી યોજના
શ્રી ચરણીએ કહ્યું હતું કે ટીમની મેચ પહેલાની બેઠકમાં તમામ સ્પિન બોલર સાથે મળીને ચર્ચા કરે છે. તેમાં તે ઉપરાંત પ્રેમાં રાવત,દીપ્તિ શર્મા અને રાધા યાદવ પણ સામેલ હોય છે.ચરણીએ જણાવ્યું કે ટીમ બેઠકમાં મેચ દરમિયાન શું કરવાનું છે તેની ચર્ચા કરવામાં આવે છે. ત્યારબાદ દીપ્તિ અને રાધા જેવી અનુભવી ખેલાડીઓ જે સૂચનો આપે છે, તેને મેદાન પર અમલમાં મૂકવાનો પ્રયાસ કરવામાં આવે છે.પાકિસ્તાન સામેની મેચમાં ચરણીએ પોતાની બોલિંગ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તેણે કહ્યું કે તેનું મુખ્ય લક્ષ્ય માત્ર સ્ટમ્પને નિશાન બનાવીને બોલિંગ કરવાનું હતું.

પિચ જોઈને મળી હતી મહત્વની માહિતી
શ્રી ચરણીએ જણાવ્યું કે મેચ પહેલાં પિચ જોયા બાદ ટીમને ખ્યાલ આવી ગયો હતો કે બોલને ટર્ન મળી શકે છે.તેથી તેણે બોલને વધુ ફેરવવાના પ્રયાસ કરતાં પોતાની લાઇન અને લેન્થ પર ધ્યાન આપ્યું હતું.તેના મતે જ્યારે બોલરને પિચની સ્થિતિ અંગે યોગ્ય માહિતી હોય ત્યારે પોતાની મૂળભૂત યોજના પર વિશ્વાસ રાખવો જરૂરી છે. પાકિસ્તાન સામે પણ તેણે સ્ટમ્પ પર બોલિંગ કરવાનો પ્રયાસ કર્યો અને બાકીનું કામ બોલ પર છોડી દીધું.ચરણીએ પોતાની બોલિંગથી પાકિસ્તાની બેટર્સને સતત મુશ્કેલીમાં રાખ્યા હતા.તેના 3 વિકેટના શાનદાર સ્પેલે ભારતને પાકિસ્તાનની ઇનિંગ ઝડપથી સમેટવામાં મદદ કરી હતી.
પ્રેમાં રાવતના પણ વખાણ કર્યા
પાકિસ્તાન સામે શ્રી ચરણીએ 3 વિકેટ ઝડપી હતી, ત્યારે બીજી સ્પિનર પ્રેમાં રાવતે પણ શાનદાર બોલિંગ કરી હતી. પ્રેમાંએ પોતાની 4 ઓવરમાં માત્ર 9 રન આપીને 3 વિકેટ ઝડપી હતી.મેચ બાદ ચરણીએ પ્રેમાં રાવતના પણ ખૂબ વખાણ કર્યા હતા. તેણે પ્રેમાંને કુદરતી પ્રતિભા ધરાવતી ખેલાડી ગણાવી હતી. ચરણીએ કહ્યું કે પ્રેમાં માત્ર સારી બોલર જ નથી, પરંતુ તે સારી ફિલ્ડર અને બેટર પણ છે.ભારતની જીતમાં બંને યુવા સ્પિનરોનું પ્રદર્શન ખાસ રહ્યું હતું. શ્રી ચરણીએ પોતાની શાનદાર બોલિંગથી પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો, જ્યારે પ્રેમાં રાવતે પણ 3 વિકેટ લઈને પાકિસ્તાનની બેટિંગને મોટો ઝટકો આપ્યો. ભારતીય ટીમના આ સ્પિન આક્રમણે પાકિસ્તાનને માત્ર 55 રનમાં સમેટીને મેચને એકતરફી બનાવી દીધી હતી.


