બિહારમાં પૂરની પરિસ્થિતિ બિહામણી બની રહી છે. બંધમાં ભંગાણ પાડતી ગંગા નદી અને એની શાખાઓ ભયજનક સપાટીથી ઊંચે વહી રહી હોવાથી રાજ્યના ૧૫ જિલ્લાઓમાં ૪૬.૮૮ લાખ લોકો અસરગ્રસ્ત થયા છે.
ભાગલપુર જિલ્લાના વિવિધ ભાગોમાં બંધના ચાર સ્થળોએ ભંગાણ થયું છે, જે પૈકી કેટલાક દુરસ્ત કરી દેવાયા છે, જ્યારે બાકીના સ્થળે કાર્ય થઇ રહ્યું છે. ગોપાલપુર બ્લોકમાં બ્રહ્મોત્તાર બંધમાનું ભંગાણ, જળસ્ત્રોત વિભાગની ટેકનિકલ ટીમ અને સ્થાનિક લોકોના સાથ-સહકારથી રાતોરાત રિપેર કરી લેવાયું છે.
રાંગ્રા બ્લોકમાં ધોબાનિઆ જમીનદારી બંધ ખાતે વહેલી સવારે ૪.૩૦ના સુમારે બંધમાં લગભગ ૨૦ ફીટનું ખવાણ થઇ જતા પીડબલ્યુડી રોડ નંબર-૧૪ની અંદર પૂરના પાણી પ્રવેશ્યા. એની સામે સંરક્ષણાત્મક ઢાલરૂપે વાંસના થાંભલા, રેતીની બેગો અને પ્લાસ્ટિક શીટનો ઉપયોગ કરી કામ ચલાવાયું હતું.

રાન્ગરા ચોકમાં કાલબાલિયા નદી પરના ધોબાનિયા બંધમાં ભંગાણ જણાયું છે. બનિયાબૈસિ પંચાયતમાંના સાદોપુર રિંગ બંધના ભાગરૂપ બુધિયા ડેમમાં પણ ભંગાણ પડયું છે. અસરગ્રસ્ત સ્થળોએ ટેકનિકલ ટીમો ગોઠવવામાં આવી છે, જ્યારે જેમાં નુકસાન થઇ શકે એવુ છે એવા બંધો પર ૨૪ કલાક દેખરેખ રખાઇ રહી છે. આપત્તિ વ્યવસ્થાપન વિભાગના છેલ્લા બુલેટિનમાં જણાવાયાનુસાર, પૂરથી ૮૮ બ્લોકોમાં સમાવિષ્ટ ૫૬૧ ગ્રામ પંચાયતોમાં ૪૬.૮૮ લાખ લોકોને અસર પહોંચી છે. ભાગલપુર, પટણાસ સારન, વૈશાલી, બેગુસરાઇ, કટિહાર, પૂર્ણિઆ અને બકસર વગેરે જિલ્લાઓમાં અત્યંત કફોડી પરિસ્થિતિ છે.
બિહાર અને નેપાળમાં થયેલા ભારે વરસાદથી કેટલીક નદીઓ અને જળાશયો છલકાઇ રહ્યા છે. રાજ્યમાં સપ્ટેમ્બર મહિનામાં અત્યાર સુધી ૯૦ મિલિમીટર વરસાદ નોંધાયો છે, જે નોર્મલ કરતાં ૨૦ ટકા વધુ છે.


